અમદાવાદ 146મી રથયાત્રાઃ 72 વર્ષ બાદ નવા રથોમાં નીકળી ભગવાનની રથયાત્રા
અમદાવાદઃ અમદાવાદમાં 146મી રથયાત્રા યોજાઈ છે. ત્યારે આ વર્ષે 72 વર્ષ બાદ ભગવાનની રથયાત્રા નવા રથોમાં નીકળી હતી. આ દરમિયાન ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના ત્રણેય રથો જ્યારે મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યા ત્યારે ભક્તોએ જય રણછોડ, માખણચોરના નારા લગાવ્યા હતા. જે બાદ મંદિર પરિસર પણ ભગવાનના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ભગવાનની એક ઝલક મેળવવા માટે ભક્તોએ ભારે પડાપડી કરી હતી. આ રથયાત્રામાં અખાડાઓ અને ગજરાજો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અખાડાઓ દ્વારા ફૂલો અને ચોકલેટનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રા સંપૂર્ણ રીતે સુખ શાંતિથી પૂરી થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ, મંદિરે કેટલીક ભજન મંડળીઓ પણ ઉમટી હતી. આ ભજન મંડળીઓએ ભજનો ગાઈને સમગ્ર માહોલ ભક્તિમય બનાવ્યો હતો. સાથે જ ભગવાનનો ખીચડીનો પ્રસાદ મેળવવા માટે ભક્તોએ લાંબી લાઈનો લગાવી હતી. કેટલાંક યંગસ્ટર્સ પણ ભજન મંડળીમાં જોડાયા હતા. ત્યારે આ રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Curated byમનીષ કાપડિયા|TimesXP Gujarati|20 Jun 2023