ડમી ઉમેદવાર કાંડઃ યુવરાજ સિંહે કહ્યું-જે લોકો બચાવ કરી રહ્યા છે તેમના નામ પણ જાહેર કરવાનો સમય આવી ગયો છે
ભાવનગરઃ ડમી ઉમેદવાર કાંડનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પર્દાફાશ કર્યો હતો. જે બાદ પોલીસે 36 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ચારેક જટેલાં આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન યુવરાજ સિંહ પર તેમની નજીકના શખસ બિપીન ત્રિવેદીએ આક્ષેપ મૂક્યો હતો કે, યુવરાજ સિંહે ડમી ઉમેદવારોના નામ બહાર લાવવા માટે રુપિયા 55 લાખ લીધા હતા. જે બાદ મોટો હોબાળો મચી ગયો હતો. આ મામલે પોલીસે યુવરાજ સિંહને સમન્સ પાઠવીને ગયા બુધવારે હાજર રહેવા માટે કહ્યું હતું. જો કે, એ દિવસે યુવરાજ સિંહની તબિયત લથડતાં તેઓ હાજર રહી શક્યા નહોતા અને પોલીસ પાસે સમય માગ્યો હતો. ત્યારે આજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજ સિંહે કેટલાંક ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું કે, જે પણ પુરાવા અને સ્ટિંગ સહિતની માહિતી છે એ હું રજૂ કરીશ. જે લોકો બચાવ કરી રહ્યા છે તેમનું પણ નામ જાહેર કરવાનો સમય આવી ગયો છે. ડમી કાંડને દબાવવા માટે નવા નવા પેંતરા કરવામાં આવી રહ્યા છે. તો પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં યુવરાજ સિંહ મંદિરમાં પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા અને તેઓએ પણ તેમનો સાથ આપવાની વાત કરી હતી.ahmedabadTimesXP GujaratiUpdated: 21 Apr 2023, 12:38 pm