ભાજપે ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપી, પણ નીતિન પટેલ અને વિજય રૂપાણીનો નંબર કેમ ના લાગ્યો?
મારો શું વાંક? 2001માં કેશુબાપાને ગુજરાતના સીએમ પદેથી હટાવવામાં આવ્યા ત્યારે તેમના આ સવાલનો જવાબ આપનારૂં કોઈ નહોતું,. ત્યારપછી કેશુબાપાએ બળવો કરીને એક સમયે ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો પક્ષ બનાવીને ભાજપની સામે પડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ માત્ર બે બેઠક જીતવામાં સફળ થયો હતો અને 2014માં તો તેનું ભાજપમાં વિલિનિકરણ પણ થઈ ગયું હતું. ગુજરાતમાં ભાજપની અંદર અને ખાસ તો નરેન્દ્ર મોદી સામે થયેલો તે છેલ્લો બળવો હતો, મોદીની સામે પડનારાઓનો શું અંજામ આવે છે તે જોઈ અને સમજી ચૂકેલા પક્ષના કોઈ નેતા હવે આવું કંઈ સાહસ કરવાની સ્થિતિમાં નથી રહ્યા. એક સમય હતો જ્યારે નેતાઓ પોતાના દમ પર ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, પરંતુ હવે ભાજપના ઉમેદવારો મોદીની ગેરંટી પર જ મેદાનમાં ઉતરે છે અને જો જીત મળે તો તેનો તમામ શ્રેય પક્ષ અને પીએમ મોદીને આપે છે.